ક્લાઈમેટ ચેન્જને કારણે ભારતમાં ઋતુચક્ર બદલાઈ ગયું છે. ગમે ત્યારે ઠંડી, ગરમી અને વરસાદ ખાનાખરાબી સર્જે છે. અધૂરામાં પૂરું વાયુ પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી હવાનાં સ્તરે માનવીઓનાં આરોગ્ય સામે ખતરો સર્જ્યો છે. લોકો અનેક પ્રકારની બીમારીનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં એક અભ્યાસનાં ચોંકાવનારા તારણો એવો નિર્દેશ કરે છે કે વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં નાના બાળકોમાં જ્ઞાન અને સમજણલક્ષી સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને નાના બાળકોનું મગજ જ્યારે બે વર્ષની ઉંમર સુધી વિકાસનાં તબક્કામાં હોય ત્યારે જ તેમનાં મગજ અને જ્ઞાનતંતુઓ પર હવાનું પ્રદૂષણ માઠી અસરો સર્જે છે. તેમનામાં સમજણશક્તિ ખીલવા આડે અવરોધો સર્જાય છે. તેમની નવું નવું જ્ઞાન મેળવવાની તેમજ વિચારો, અનુભવ અને સમજશક્તિને આધારે સંજ્ઞાન શક્તિ વિકસવામાં અવરોધો સર્જાય છે. આવા સંજોગોમાં જો વાયુ પ્રદૂષણને રોકવા અને બાળકો પર તેની માઠી અસરો રોકવા કોઈ પગલાં લેવામાં ન આવે તો લાંબાગાળે બાળકોનું મગજ વિકસવામાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે જે તેનાં આખા જીવનને માઠી અસરો કરે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી છે.