
સુંદર કુદરતી દૃશ્યો માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલને મોતનું તાંડવ મચાવ્યું છે. અહીં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. કાટમાળ અને કાદવ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની સાથે જ મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે.બચાવકર્મીઓ અને રેસ્ક્યુ ટીમે હજુ સુધીમાં ૧,૦૦૦થી વધારે લોકોના જીવ બચાવવામાં સફળતા મેળવી છે. ભારતીય સેનાના નેતૃત્વમાં મોટાપાયે ચલાવાઈ રહેલા રેસ્ક્યુ અભિયાને હજુ સુધીમાં સંખ્યાબંધ ઈજાગ્રસ્તોને બચાવીને સારવાર માટે ખસેડયા છે. ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યા છે. હજુ સુધીમાં આ ભયાનક ત્રાસદીમાં ૩૦૦ લોકોનાં મોત થયા છે. તેમજ ૨૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ પણ ૨૪૦ લોકો લાપતા છે જેમને શોધવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ભારતીય સેના દ્વારા અહીં કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરાવાયું છે. જેનો પ્રભાર મેજર જનરલ વિનોદ મેથ્યૂ સંભાળી રહ્યા છે. જોકે, રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યા નડી રહી છે કારણ કે વાયનાડ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ ચાલુ છે અને તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના સીએમ વિજયને કહ્યું હતું વાયનાડ અને આસપાસના વિસ્તારોમાંથી હજુ સુધીમાં ૧,૫૦૦ કરતા વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પીએમ કરતા ડોક્ટર્સ પણ થથરી ગયા.
વાયનાડમાં આરોગ્ય કર્મીઓ સતત ૨૪ કલાક સેવા આપી રહ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરતા તબીબોની હાલત ખરાબ છે. એક મહિલા તબીબે કહ્યું હતું કે વાયનાડથી જે શબ આવ્યા છે. તેમને જોઈને હું વિચલિત થઈ ગઈ હતી. અહીં જેટલા પણ મૃતદેહ આવ્યા હતા તે તમામ ક્ષત- વિક્ષત હતા. કેટલાકના ચહેરા તો એ હદ સુધી કચડાયેલા હતા જાણે કોઈએ જાણીજોઈને ચહેરાને મારીમારીને કચડયા હોય મૃતદેહને ફરીવાર જોવાની હિંમત નહોતી થતી.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડના પીડિતોને મળ્યા.
કોંગ્રેસ નેતા અને વાયનાડના પુર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમના બહેન અને પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે વાયનાડ જિલ્લાની મુલાકાત કરી હતી. તેમણે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તાર ચૂરલમાલા તેમ જ મેપ્પાડીમાં એક હોસ્પિટલ તેમ જ જાહેર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં લોકો પુરા પરિવાર ખોઇ ચુક્યા છે. મારા પિતાના મૃત્યુ સમયે જેવો અહેસાસ થયો હતો તેવો અહેસાસ કરી રહ્યો છું. સમગ્ર દેશનું ધ્યાન વાયનાડ તરફ છે. મને નથી લાગતું કે આ સમય રાજકીય મુદ્દા પર વાત કરવાનો છે. અહીં લોકોને મદદની જરૂર છે. લોકોને સહાય મળે તે સુનિશ્ચીત કરવાનો સમય છે. મારા માટે ચોક્કસપણે આ રાષ્ટ્રીય સંકટ છે.
સેનાએ ૧,૦૦૦ લોકોનો જીવ બચાવ્યો.
કેરળની અપીલ પર સેના બચાવ અભિયાનમાં લાગી છે. ભારતીય સેના, નેવી અને NDRFની ટીમો હાલ સઘન અભિયાન ચલાવી રહી છે. પરંતુ કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવા સરળ નથી. ખાસ કરીને વરસાદ ચાલુ રહેવાને કારણે મુશ્કેલી પડી રહી છે. કેટલાક ગામોનો તો સંપર્ક જ કપાઈ ગયો છે. સેનાના પ્રવક્તાના અનુસાર મુંડક્કાઈ અને આસપાસના વિસ્તારોમાં જવાનો ફરજ બજાવી રહ્યા છે. હજુ સુધીમાં જવાનોએ ૧,૦૦૦થી વધારે લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડયા છે.વાયુસેનાના હેલિકોપ્ટર્સ પણ વિસ્તારમાં સરવે કરી રહ્યા છે.
રાજ્યો રેડ એલર્ટની રાહ ના જોવે.
ભીષણ ભૂસ્ખલનને કારણે વાયનાડમાં સર્જાયેલીભચાવહ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગના વડામૃત્યુજય મોહપાત્રાએ ગુરુવારે ઓનલાઇન પ્રેસકોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યોએઓરેન્જ એલર્ટ જારી થવા પર જ પગલાં લઇ લેવાજોઇએ. તેઓ રેડ એલર્ટ જારી થવાની રાહ નાજોવે. કેરળમાં ૨૯ જુલાઇએ ઓરેન્જ એલર્ટ અને૩૦ જુલાઇએ રેડ એલર્ટ જારી કરાયું હતું.