જમીન પરથી સમુદ્રમાં સર્જાયેલ ‘ASNA’ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. જોકે એક દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૯૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે.
વાવાઝોડું ફંટાતા અને હાલમાં નજીકમાં અન્ય કોઈ સિસ્ટમ ન હોવાથી શનિવારે રાજ્યના એકપણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી થઈ નથી, પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત થઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ૧લી સપ્ટેમ્બરથી ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ રવિવારથી ભારે વરસાદ પડવાના સંકેતો અપાયા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે શુક્રવારે સવારે ચક્રવાતી તોફાન ‘ASNA’માં પરિવર્તિત થયું હતું. શુક્રવાર સવારે અગિયાર વાગ્યાની સ્થિતિએ આ ચક્રવાત ભુજથી ૧૯૦ કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ અને નલિયાથી ૧૦૦ કિમી. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તેમજ પાકિસ્તાનના કરાચીથી ૧૭૦ કિમી દક્ષિણ પૂર્વમાં હતું અને અરબી સમુદ્ર પર લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા અપડેટ્સ મુજબ બંગાળની ખાડીમા સર્જાયેલ લો પ્રેશર ફરી ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આ લો પ્રેશરના લીધે રાજ્યમાં ૧લી સપ્ટેમ્બરથી ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. તા.રથી ૪ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આવતીકાલથી પાંચ દિવસ આ વિસ્તારમાં વરસાદની આગાહી.
રવિવાર: નવસારી-વલસાડમાં ભારે વરસાદ પડશે.
સોમવાર : વડોદરા-છોટા ઉદેપુરમાં અતિભારે જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ભાવનગરમાં ભારે વરસાદ પડશે
મંગળવાર : નર્મદા અને ભરૂમાં અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે.
બુધવાર : વડોદરા,ભરૂચમાં અતિભારે જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને સાડાભાવનગરમાં ભારે વરસાદ પડશે.
અમદાવાદમાં ૨૪ કલાકમાં ૪ ડિગ્રી પારો ઊંચકાતા ગરમીનો અહેસાસ.