ભોળાનાથની પૂજા-અર્ચના મોટેભાગે મૂર્તિ સ્વરૂપે ઊભા થતી નથી, પરંતુ લિંગસ્વરૂપે શિવજીની પૂજા થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિબિંદુ- નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજા, અર્ચના કરવામાં આવે છે.

મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી- દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે, જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર-ગરીબ, ઊંચ-નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરુ વગેરેની પૂજા પણ કરવામાં આવે છે.
દેહથી કર્મ અને કર્મથી દેહ. આ જ બંધન છે. શિવભક્તિ આ બંધનમાંથી મુક્તિ મેળવવાનું સાધન છે. જીવાત્મા ત્રણ શરીરથી જકડાયેલ છે. સ્થૂળ શરીર કે જે કર્મ માટે છે. સૂક્ષ્મ શરીર કે જે ભોગ માટે છે અને કારણ શરીર કે જે આત્માના ઉપભોગ માટે છે. શિવલિંગ પૂજન આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે મદદરૂપ છે તથા સ્વયંભૂ શિવલિંગનો પણ વિશેષ મહિમા છે. શાસ્ત્રોમાં માટીમાંથી બનાવેલાં શિવલિંગનું પૂજન પરમ સિદ્ધિપ્રદ જણાવ્યું છે.
શ્રી શિવમહાપુરાણના સૃષ્ટિખંડમાં વર્ણન છે કે બ્રહ્માજીના સનત્ક્રુમાર વેદવ્યાસજીને ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થે દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષા લઈને પંચદેવો (શ્રી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શંકર)ની પ્રતિમાઓનું દરરોજ પૂજન કરવું જોઈએ. ભોળાનાથ શિવજી જ સૌના મૂળ છે, મૂળ(શિવજી)ને સીંચવાથી બધા જ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે, પરંતુ બધા જ દેવતાઓને તૃપ્ત કરવા છતાં પણ પ્રભુ શિવ તૃપ્ત થતા નથી. આ રહસ્ય દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષિત વ્યક્તિ જ જાણે છે.સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુએ એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિર્ગુણ, નિરાકાર, અજન્મા બ્રહ્મ(શિવ)ને પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, આપ કેવીરીતે પ્રસન્ન થાઓ છો?”
• શિવજી બોલ્યા, ‘મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો. જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુઃખો નાશ થાય છે.'(શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)• જ્યારે જ્યારે દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો અને પછી પશ્ચત્તાપ કર્યો. ત્યારે શ્રીવિષ્ણુએ નારદજીને પશ્ચત્તાપ કરવા માટે શિવલિંગનું પૂજન, શિવભક્તોનો સત્કાર, દરરોજ શિવશક્તિ નામનો જપ વગેરે ક્રિયાઓ જણાવી.(શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)• એકવાર સૃષ્ટિના રચિયતા બ્રહ્માજી દેવતાઓને લઈને ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પરમ તત્ત્વને જાણવા માટે પહોંચ્યા. શ્રી વિષ્ણુએ બધાને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞા આપી અને વિશ્વકર્માને દેવતાઓ બોલાવીને અનુસાર અલગ-અલગ દ્રવ્યમાંથી શિવલિંગ બનાવી આપવાની આજ્ઞા આપી અને પૂજાવિધિ પણ સમજાવી. (શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)• રુદ્રાવતાર હનુમાનજીએ રાજાઓને કહ્યું, ‘શ્રી શિવજીની પૂજાથી ઉત્તમ બીજું કોઈ તત્ત્વ નથી.’ હનુમાનજીએ એક શ્રીકર નામના બાળકને શિવપૂજાની દીક્ષા આપી. તેથી હનુમાનજીના ભક્તોએ પણ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. (શ્રી શિવમહાપુરાણ કોટીરુદ્ર સંહિતા)
શ્રાવણ માસમાં શિવ-પૂજનની સાથે માટીમાંથી બનાવેલા શિવલિંગનાં પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવર્ણિપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંચ્છિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાયવરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે.
જય મહાદેવ 🙏