
જો તમારો નાનો સંભવિ બિઝનેસ હશે તો તમે જાણતા હશો કે નવા સંભવિત કસ્ટમર્સ સુધી પહોંચવું બહુ મુશ્કેલ બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર આપણા બિઝનેસ એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા વધારીએ તો પણ તેમને આપણો મેસેજ જોવા મળે તેવી કોઈ ખાતરી નથી. આપણો નંબર સેવ ન કર્યો હોય તેવા લોકોને વારંવાર વોટ્સએપ મેસેજ કરવા જતાં આપણું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઈ જવાની શક્યતા છે.
અત્યાર સુધી બલ્ક એસએમએસ મોકલવાનું કામ સૌથી સહેલું હતું. પરંતુ એ પણ ધીમે ધીમે મુશ્કેલ બનતું જાય છે.આ બધા કોઠા ભેદીને આપણે કોઈ સંભવિત કસ્ટમર સુધી પહોંચીએ, એ પછી તેને આપણી સર્વિસ કે પ્રોડક્ટમાં રસ પડે, એ ઓર્ડર આપે, આપણે ડિલિવરી કરીએ… આ બધું લાંબી જહેમતનું કામ છે. તેની સામે છેતરપિંડી કરનારા લોકોનું કામ કેટલું સહેલું છે એ જુઓ. ઉપર લખ્યું તેમ એ લોકો માંડ પાંચ-છ હજાર રૂપિયા ખર્ચીને લાખેક જેટલા લોકોને એક સાથે ટેકસ્ટ મેસેજ કે બલ્ક વોટ્સએપ (ડાઇરેક્ટ વોટ્સએપ દ્વારા નહીં, પરંતુ જુદા જુદા નંબર પરથી) મોકલી શકે છે. આવા લાખ લોકોમાંથી માંડ બે-પાંચ લોકો તેમની જાળમાં ફસાય તો પણ તેમની પાસેથી લાખો રૂપિયા સેરવી શકાય છે.
હવે મોટા ભાગના લોકો પેટીએમ, ફોનપે, ગૂગલપે જેવી પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. આપણામાંના સૌએ કોઈએ કોઈને કોઈ પ્રકારે વીમો ઉતરાવ્યો હોય છે. આપણે સો બેંકમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. આ બધામાં જુદા જુદા સમયે કેવાયસી કે રીકેવાયસીની જરૂર ઊભી થતી હોય છે. જુદા જુદા સમયે આપણે વીમાનું પ્રીમિયમ ભરવાનું થતું હોય છે. આ બધું જ છેતરપિંડી કરનારા લોકો જાણે છે. એટલે તેઓ આવું કોઈ ને કોઈ કારણ બતાવીને તેમનો સંપર્ક કરવા માટે વોઈસ કોલ કે ટેકસ્ટ મેસેજ મોકલે છે.લાખોની સંખ્યામાં એમાં કોઈ જ સપડાવાનું છે જ.આ જ કારણે આપણા દેશમાં જોખમી કોલ્સ અને મૈસેજનું પ્રમાણ બેહદ વધતું જાય છે. ઠગ લોકોનું કામ સહેલું થવાનાં ફક્ત બે કારણ છે.
એક, લોકો સ્માર્ટફોન વાપરતા થયા છે પરંતુ તેનાં જોખમો સામે પૂરતા સજાગ નથી. અનેક દિવાળી જોઈ ચૂકેલા ડોકટર, સીએ કે પ્રોફેસર સુદ્ધાં ઓનલાઇન છેતરપિંડી કરતા લોકોની માયાજાળમાં સહેલાઈથી ફસાઈ જતા હોય છે. બીજું કારણ ણ એ છે કે અત્યંત વ્યાપક પ્રમાણમાં કૉલ કે મેસેજ મોકલવાનું કામ બહુ સહેલું અને સસ્તું છે.
હવે સાવ નજીવા ખર્ચેમાં લાખો લોકોને ઓટોમેટેડ વોઇસ મેસેજ કે ટેકસ્ટ મેસેજ મોકલી શકાય છે. વોઇસ કોલ માટે નાની એવી ટીમ ઊભી કરી લો તો લાઇવ વાતચીત કરવી પણ સહેલી છે. એ જ કારણે આપણને રોજે રોજ લોન કે ક્રેડિટ કાર્ડ કે કોઈ ને કોઈ પ્રકારની સ્કીમ, ઓફર વગેરેની લાલચ આપતા કૉલ્સ સતત વધતા જાય છે. આવા કોલ્સ કોઈ પ્રકારની છેતરપિંડી વિના, પોતાના બિઝનેસનું પ્રમોશન કરવા માગતા ને આપણને ઉપયોગી થઈ શકતા બિઝનેસ તરફથી પણ હોય અને ઠગ તરફથી પણ હોઈ શકે? કયો નંબર સાચા બિઝનેસનો અને કયો ઠગનો એ નક્કી કેવી રીતે થાય?
આ કામ બે જ રીતે થઈ શકે ? કાં તો કોઈ અનુભવી આપણને કહે કે જે તે નંબર જોખમી છે, અથવા એ નંબર કોનો છે તે સ્પષ્ટપણે સ્ક્રીન પર જ જોવા મળે. આ દિશામાં હવે કામ શરૂ થયું છે.
સ્પામ પારખતું AI આધારિત નવું ટૂલ.
ભારતમાં બહુ લાંબા સમયથી સ્પામ કૉલિંગનું પ્રમાણ જોતાં, સ્વીડનમાં ડેવલપ થયેલી ટુકૉલર જેવી , કોલ કરનારનો નંબર આપણા ફોનમાં સેવ્ડ ન હોય તો પણ તેનું નામ જણાવતી – સર્વિસ સ્વીડનને બદલે ભારતમાં જ, ક્યારની ડેવલપ થઈ જવી જોઈતી હતી. અલબત્ત, એ કામ હવે થયું છે, એ પણ કોઈ એપ વિના.
ભારતી એરટેલ કંપનીએ હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્પામ ડિટેકશન ટૂલ લોન્ચ કર્યું. કંપનીના જણાવ્યા અનુસાર ફક્ત પહેલા દિવસે આ ટૂલે ૧.૧૫ કરોડ સ્પામ કોલ અને ૩.૬ કરોડ સ્પામ મેસેજિસ ઓળખ્યા અને એરટેલના યૂઝર્સને તેના પર આગળ કંઈ પણ એકશન લેવા સામે ચેતવ્યા.
ભારતમાં એરટેલના તમામ મોબાઇલ ફોન સબસ્ક્રાઇબર્સને હવે જોખમી કોલ્સ અને મેસેજિસ સામેરક્ષણ મળવાની આશા જાગી છે. એ માટે એરટેલના યૂઝર્સે કોઈ એક્શન લેવાનું નથી, કોઈ એપ પણડાઉનલોડ કરવાની નથી. તમે એરટેલના યૂઝર હશો તો તમને જોખમી કોલ/મેસેજ માટે ચેતવણી મળવા લાગી હશે. કંપની ટૂંક સમયમાં આ સગવડ સાદા ફીચર ફોનના યૂઝર્સને પણ આપે તેવી શક્યતા છે.
એરટેલ કંપનીના કહેવા અનુસાર તેનું ટુલ સતત યુઝર્સની પેટર્નનું એનાલિસિસ ક કરે છે. આપણે કયા કોલ નકારીએ છીએ એ સતત નોંધવામાં આવે છે, અને એ રીતે સિસ્ટમ સ્પામ કોલ અને મેસેજને રિઅલ ટાઈમમાં ઓળખી લે છે અને યૂઝર્સને તેની સામે ચેતવે છે. અત્યારે આ ટૂલ તમામ પ્રકારના સ્માર્ટફોનમાં તથા ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી શકે છે.
એરટેલ કંપનીએ તેના આ ટૂલને કારણે કંપની પાસે જોખમી કોલ્સ કે મેસેજ મોકલતા નંબરનો જે ડેટાબેઝ એકઠો થશે તે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી), રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ), ઇન્સ્યોરન્સ એન્ડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા), ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (เย์) તથા યુપીઆઈ વ્યવસ્થાનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનટીપીસીઆઈ) જેવી વિવિધ સંસ્થાઓ સાથે શેર કરવાની પણ તૈયારી બતાવી છે.એ પછી આ સંસ્થાઓ આવા ફોન નંબર્સ સામે પગલાં લઈ શકશે તેવી પણ આશા છે.