
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ભારત માળા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં આઠ નવા પ્રોજેક્ટની શરૂઆત કરાવામાં આવી છે જેમાં ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે.
ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ ૩૧૬ કિ.મી. લાંબો નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં ૨૪૮ કિ.મી. લાંબો ફોર અથવા સિક્સ લેન હાઈવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધીનો તૈયાર કરાશે. જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી ૬૮ કિ.મી. લાંબો ફોર અને સિક્સ લેન હાઈવે તૈયાર કરાશે. હાઈવે બનવાથી જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.
આ પ્રોજેકટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે ૩૦ કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર એક જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. જે મંજૂર થતાં રોજનું લાખો લીટર ઈંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે.
સૌરાષ્ટ્ર એટલે કે જામનગરથી સુરત જવા માટે ૫૨૭ કિ.મી. બગોદરા કે વડોદરા થઈને જવું પડતું. પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ જામનગરથી ભરૂચનો હાઈવે તૈયાર થતા ૧૩૫ કિ.મી. જેટલું અંતર ઘટશે. આ સાથે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે ૪૩૬ કિ.મી.નું અંતરમાં ૧૧૭ કિ.મી.નો ઘટાડો થશે.
જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ ૬૨૭ કિ.મી. અંતરમાં ૨૧૫ કિ.મી ઘટાડો થવાથી માત્ર ૪૧૨ કિ.મી. જેટલું થશે.જ્યારે ભાવનગરથી સુરત જવા માટેના ૩૫૭ કિ.મી. અંતરમાંથી ૨૪૩ કિ.મી. અંતર ઘટી જતા માત્ર બે કલાકમાં ભાવનગર થી સુરત પહોંચી શકાશે.